| |
પરિચય અને સંચાલન વ્યવસ્થા:
શ્રી દ્વારકાધીશ મંદિરની બોમ્બે પબ્લીક ટ્રસ્ટ ,રજીસ્ટ્રેશન નંબરઃ- એ – ૩૧, જામનગર હેઠળ નોંધણી થયેલ છે. ટ્રસ્ટના સોલ ટ્રસ્ટી હાલ ગુજરાત સરકાર છે અને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર નીચે વહીવટ કરવામાં આવે છે. ટ્રસ્ટની રોજબરોજની વહીવટી કામગીરી કરવા માટે તથા સેવાપૂજા બરાબર કરવામાં આવે તે માટે સમિતિની નિમણૂંક સરકાર દ્વારા કરવામાં આવે છે. સમિતિના અધ્યક્ષ કલેકટરશ્રી, જામનગર હોદાની રુએ અને વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિરની જગ્યા મામલતદાર કેડર વર્ગ – ર સંવર્ગની વરણી કરવામાં આવેલ છે. તે ટ્રસ્ટનાં હોદાની રુએ અધ્યક્ષ તથા સભ્યસચિવ કાયમી છે. બાકીના ૯ – સભાસદોમાં માનનીય જગદગુરુ શંકરાચાર્યનાં પ્રતિનિધિ તથા નગરપાલિકા દ્વારકાના પ્રતિનિધિ, દ્વારકા શહેરમાંથી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તથા પુજારી શ્રી દ્વારકાધીશ મંદિરમાંથી એક પ્રતિનિધિ સભ્ય તરીકે સરકારશ્રી દ્વારા ત્રણ વર્ષ માટે નિમણૂંક કરવામાં આવે છે. શ્રી દ્વારકાધીશનાં મુખ્ય મંદિર ઉપરાંત મંદિરનાં સ્વર્ગદ્વાર તથા મોક્ષદ્વાર વચ્ચે નાના-૧૯ મંદિરો આવેલા છે, તથા ભારતભરની ચાર પીઠ પૈકીની શારદાપીઠ દ્વારકામાં આવેલ છે. શ્રીમાન જગદગુરુ શંકરાચાર્યશ્રી દ્વારા શારદાપીઠ તથા આ ૧૯ પૈકી ૧૪ મંદિરનો વહીવટ કરવામાં આવે છે. શ્રી દ્વારકાધીશના મુખ્ય મંદિર તથા સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર વચ્ચે આવેલા અન્ય ૧૪- મંદિરનું રીપેરીંગ કામ અગાઉ વડોદરા રાજ્યના શ્રીમંત ગાયકવાડ સરકાર દ્વારા અને ત્યારબાદ મુંબઈ રાજ્ય અને ગુજરાત રાજ્યનાં બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવતું સને: ૧૯૬૩ થી ભારત સરકારશ્રીનાં આર્કોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રી દ્વારકાધીશ મુખ્ય મંદિર તથા અન્ય ૧૪ મંદિરોને ‘‘નેશનલ પ્રોટેક્ટીવ મોન્યુમેન્ટ‘‘ તરીકે જાહેર કરેલ છે, અને મંદિરમાં રીપેરીંગનું કામકાજ આ વિભાગને સોપવામાં આવેલ છે. ઉપરાંત આર્કોલોજી સર્વે ઓફ ઇન્ડીયાનાં ‘‘મરીન રીસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ‘‘ વિભાગનાં ડો. એસ, આર. રાવ દ્વારા ખોદકામ અને સંશોધન હાથ ધરવામાં આવેલ તેમાં દ્વારકાનો પૌરાણિક શાસ્ત્રો ‘‘હરિવંશ, વિષ્ણુપુરાણ, ભાગવત-સ્કંદ-મહાપુરાણ વિગેરે શાસ્ત્રોમાં થયેલ ઉલ્લેખને અનુરુપ પ્રાચીન અવશેષો મળી આવેલા છે. આમ પ્રાચીન સંસ્કૃતિને અનુરરૂપ મળેલ આધારો મુજબ મંદિર વર્ષો જુનું અને પ્રશંસનીય છે. શ્રી દ્વારકાધીશજી મંદિરના દર્શન કરવા દેશ-વિદેશમાંથી લાખો યાત્રિકો આવે છે. તથા ઉત્તરોત્તર યાત્રિકોની સંખ્યામાં વધારો થતો રહેલ છે. જેથી દ્વારકામાં યાત્રિકોની સગવડતા તથા વિકાસ કાર્ય હાથ ધરાવા જરૂરી છે. શ્રી દ્વારકાધીશ મંદિરના રીપેરીંગ તથા વિકાસ માટે સરકારશ્રી દ્વારા અલગ ટ્રસ્ટ ‘‘શ્રી દ્વારકાધીશ મંદિર દુરસ્તી અને વિકાસફંડ‘‘ની રચના કરવામાં આવેલ છે. આ ટ્રસ્ટમાં આવેલ દાનમાંથી યાત્રિકોની સગવડતા માટેનાં કાર્યો હાથ ધરવામાં આવે છે. આ ફંડમાંથી હાલ આશરે ર૦૦ માણસોની વ્યવસ્થા માટે ભોજનાલય તથા વિશ્રામગૃહનું બાંધકામ પૂર્ણ થયેલ છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં યાત્રાધામોના વિકાસ માટે ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની રચના કરવામાં આવેલ છે. શ્રી દ્વારકાને પવિત્ર યાત્રાધામ તરીકે વિકાસ કરવા સમાવેશ કરેલ છે.
શ્રી દ્વારકાધીશ મંદિરની સેવા-પૂજા કરવા માટે દ્વારકાનાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિના ત્રણ પરિવારના વારા પ્રમાણે ત્રણ પાંખીના કુટુંબ દ્વારા વારાફરતી સેવા-પૂજા કરવામાં આવે છે. મંદિરમાં ભેટમાં આવતી આવકમાંથી, ર% રકમ ચેરીટી કમીશ્નર કચેરીનાં બાદ કરી ૧૫% રકમ દેવસ્થાન સમિતિમાં અને બાકીની ૮૩% રકમ પુજારીશ્રીઓને મળે છે. આ રકમમાંથી મંદિરમાં સેવા-પુજા માટે પુજારીશ્રીઓ દ્વારા ખર્ચ કરવામાં આવે છે. મંદિર ટ્રસ્ટમાં જે આવક આવે છે તેમાંથી મંદિરના વહીવટી સ્ટાફ તથા મંદિરનાં સલામતી સ્ટાફનાં પગાર તથા સોના-ચાંદીનાં દાગીનાની જાળવણી વિગેરેનો ખર્ચ તથા વહીવટી ખર્ચ કરવામાં આવે છે.
શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ વિષ્ણુ અવતાર ત્રિવિક્રમજી સ્વરુપમાં બિરાજે છે. પરંતુ શ્રી દ્વારકાધીશજીને રાજાધિરાજ તરીકે શ્રુંગાર વાઘા વસ્ત્રો જે પહેરાવવામાં આવે છે. તે એક અદભૂત કલાની શૈલી છે ! અહીં તહેવાર અને ઉત્સવ દરમ્યાન અલગ-અલગ દેવોનાં દર્શન પણ જોવા મળે છે. દશેરાનાં ઉત્સવમાં શ્રીરામ ભગવાનના દર્શન તથા અખાત્રીજમાં ચંદન વાઘામાં શ્રી તિરુપતીજી અને કુલ શ્રુંગારમાં શ્રી નાથજીના દર્શન પણ અહીં ભાવિકોને અદભૂત શૈલીથી થાય છે. મુખ્ય ઉત્સવ જન્માષ્ટમી, હોળી, ફૂલડોલ, ધનુર્માસ, વામનજ્યંતિ, દિવાળી, અધિક માસ, વિગેરે સમયે યાત્રિકોની ખૂબ ભીડ રહે છે.
શ્રી દ્વારકાધીશના મુખ્ય મંદિર ઉપરાંત દ્વારકામાં ગોમતીઘાટ ઉપર આવેલ સંગમ નારાયણનું મંદિર, શ્રી ચક્રનારાયણ તથા શામળસા ભગવાનનું મંદિર જોવાલાયક છે. ઓખામંડળમાં શ્રી બેટ શંખોદ્વાર (બેટ-દ્વારકા) તથા શ્રી નાગેશ્વર મહાદેવ (ભારતનાં દ્વાદશ જ્યોર્તિલીંગમાનું એક શિવલીંગ) તથા રુક્ષ્મણી મંદિર, ગોપી તળાવ,પીંડારા કકલાસકુંડ ઉપર આવેલ વિષ્ણુમંદિર (જુનુ સુર્ય મંદિર) વિગેરે ધાર્મિક સ્થળો આવેલ છે.
|
|
|